તમે ઘણીવાર લોકોને એવું કહેતા જોયા હશે કે સવારે ઉઠીને કોનો ચહેરો જોયો તો આખો દિવસ ખરાબ જ જઈ રહ્યો છે. વાસ્તવમાં શાસ્ત્રો અનુસાર વહેલી સવારને શુભ માનવામાં આવે છે. જે લોકો સવારે વહેલા જાગે છે તેમના પર સૂર્ય ભગવાનની કૃપા રહેતી હોય છે ઉપરાંત તેમના જીવનમાંથી દુર્ભાગ્ય દૂર થઈ જતું હોય છે અને માતા લક્ષ્મી મહેરબાન રહે છે.
પરંતુ શું તમે જાણો છો કે ધાર્મિક ગ્રંથોમાં કેટલાક ઉપાયો વર્ણવવામાં આવ્યા છે, જે વ્યક્તિએ સવારે ઉઠ્યા પછી કરવા જોઈએ. તેમ કરવાથી વ્યક્તિનું બેડ લક ગુડ લ્કમાં ફેરવાઈ જાય છે. તેમજ તેમનો આખો દિવસ સારો જાય છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
સવારે ઉઠીને કરો આ મંત્રનો જાપ: ધાર્મિક શાસ્ત્રો અનુસાર વ્યક્તિએ સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા પોતાની હથેળીઓ એકબીજા સાથે જોડવી જોઈએ અને તેના દર્શન કરવા જોઈએ. એ પણ ધ્યાનમાં રાખો કે આંખ ખુલતાની સાથે જ સૌથી પહેલા આ કામ કરવું. હથેળીને જોતા પહેલા કોઈપણ વસ્તુ કે વ્યક્તિ તરફ ના જુઓ. આ કામને તમારી રોજની દિનચર્યામાં સામેલ કરો. તેની સાથે જ હથેળીને જોતા સમયે મંત્રનો જાપ પણ કરવો જોઈએ. જાણો મંત્ર.
તમારી બંને હથેળીઓને જોડીને દેખતી વખતે, તમારે આ મંત્રનો ઓછામાં ઓછો એક વાર જાપ કરવો જોઈએ, તમે એકથી વધુ વાર મંત્રનો જાપ કરી શકો છો. મંત્ર- “કરાગ્રે વસતિ લક્ષ્મીહ, કર મધ્ય સરસ્વતી. કરમૂલે તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ.”
ગ્રહોના રાજા સૂર્ય ભગવાનને આપો અર્ઘ્ય: વ્યક્તિએ સવારે ઉઠીને દરરોજ સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ. ધ્યાન રાખો કે સૂર્યદેવને જળ ચઢાવતી વખતે તાંબાના વાસણનો જ ઉપયોગ કરો. કારણ કે તાંબાની ધાતુનો સંબંધ સૂર્ય ભગવાન સાથે હોય છે. તેમ કરવાથી તમને સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થશે. તેની સાથે પિતૃ દોષથી પણ મુક્તિ મળશે કારણ કે સૂર્ય ભગવાનનો સંબંધ પિતૃઓ સાથે હોવાનું માનવામાં આવે છે.
રહે છે સુખ- સમૃદ્ધિ રહે: વ્યક્તિએ દરરોજ તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તેવું કરવાથી ઘરમાં સકારાત્મકતા રહે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સાથે જ ઘરમાં સુખ- સમૃદ્ધિ બનેલી રહે છે.
પહેલા સીધા પગને ઘરની બહાર રાખો: ધાર્મિક શાસ્ત્રો અનુસાર જો કોઈ પણ કાર્યની શરૂઆત સીધા હાથ અને સીધા પગ આગળ રાખીને કરવામાં આવે તો સફળતા મળવાની શક્યતાઓ વધી જતી હોય છે. શાસ્ત્રો અનુસાર જો તમામ ધાર્મિક પૂજા કાર્યો જમણા હાથથી કરવામાં આવે તો વ્યક્તિને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેથી ઘરમાંથી રોજ સીધો પગ બહાર કાઢીને જ નીકળવું જોઈએ.
માતા- પિતા અને વડીલોના લો આશીર્વાદ: દરરોજ ઘરની બહાર નીકળતા પહેલા માતા- પિતાના આશીર્વાદ લેવા જોઈએ. જે લોકોથી તેમના માતા- પિતા પ્રસન્ન હોય છે તેમના પર તમામ દેવી- દેવતાઓ પણ પ્રસન્ન થતા હોય છે. તેમજ માતા- પિતાના ચરણ સ્પર્શ કરવાથી કુંડળીમાં સૂર્ય અને ગુરુ પણ સકારાત્મક રહેતા હોય છે.